તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. તુલસીના છોડને શાંતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. તુલસીના છોડને ઘરમાં લગાવવાથી અને એની પૂજા કરવાથી ઘરમાં ઉર્જાનો સંચાર થાય છે. મોટાભાગના લોકોને ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી એક આયુર્વેદિક દવાના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે.
તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો હોવાથી જે ઘરમાં તેને વાવવામાં આવે ત્યાં લોકો ઓછા બીમાર પડે છે. તુલસીનો છોડ સમૃદ્ધિનો પ્રતિક છે. તુલસીનો છોડ બુધનુ પ્રતિનિધિત્વ કરે છે. જેને ભગવાન કૃષ્ણનુ એક સ્વરૂપ પણ માનવામાં આવે છે. કૃષ્ણ ભગવાનને તુલસી સૌથી વધુ પ્રિય છે. જોકે તુલસીનો છોડ ઘરમાં લગાવવાના અને તેની પૂજાના કેટલાક નિયમો છે જેનુ પાલન કરવુ જોઈએ. તો આવો જાણીએ આ નિયમો..
તુલસી આગળ દીવો કરવો :- ઘણા લોકો તુલસી આગળ સવાર સાંજ દીવો પ્રગટાવે છે. કારણ કે તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજન પદ્ધતિમાં તામસિક રીતનો ઉપયોગ નથી કરાતો. ભગવાન વિષ્ણુની પૂજા રાજસિક કે સર્વાધિક પ્રિય સાત્વિક રીતે કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો માસનુ સેવન કરે છે તેમણે ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ..
તુલસીના છોડની દિશા :- ક્યારેય પણ તુલસીને દક્ષિણ દિશામાં ન મુકવો જોઈએ. કારણ કે આ દિશામાં મુકવામાં આવેલ તુલસી હંમેશા અશુભ ફળ આપે છે. તુલસીને હંમેશા ઉત્તર દિશામાં જ લગાવો. જેને બુધની દિશા માનવામાં આવે છે. તુલસીને ક્યારેય પણ જમીનમાં ન લગાવવી જોઈએ. તુલસીને હંમેશા કુંડામાં જ લગાવવી જોઈએ. જમીનમાં તુલસી લગાવતા તે અશુભ ફળ આપવુ શરૂ કરે છે. જેની અસર ઘરના સભ્યોના આરોગ્ય પર પડે છે.
તુલસીના પાન ન તોડવા :- રવિવારના દિવસે ક્યારેય તુલસીની પૂજા-અર્ચના ન કરવીજોઈએ કે ન તો તુલસીના પાન તોડવા જોઈએ. બાકી દિવસોમાં પણ ર્તુલસીના પાન સૂર્યાસ્ત પછી ન તોડવા જોઈએ. તુલસીનો છોડ હંમેશા ઘરના આંગણમાં, ઘરની વચ્ચે કે ઘરની પૂર્વોત્તર કે ઉત્તર દિશામાં મુકવો જોઈએ. આ દિશાને ઈશ્વરની દિશા માનવામાં આવે છે. આ સ્થાન પર તુલસી સૌથી વધુ શુભ પરિણામ આપે છે.
Leave a Reply